Saturday, February 18, 2006


કાર્યક્રમની પરિકલ્પના વિશે કહી રહેલા હેમાંગ પ્રમોદ તન્ના. તેમની જમણે કવિ સંજય પંડ્યા, બાલબારતીના મંત્રીઓ ધર્માંશુ મર્ચંટ અને રમીલા તન્ના તથા ધીરુબહેન પટેલ

જાદુગર ખડખડસેન બનેલા અક્ષય મકવાણા અને તેના જંબુરા તરીકે મયુર સચદેવ.


પટેલ અને પટલાણીની ભૂમિકામાં મયંક ગઢિયા અને ઋષિકા ગોસ્વામી


બાળકમાં છુપાયેલા શિલ્પની વાત કરતા સાહિત્યકાર શ્રી દિનકર જોશી.


બાળકો અને અતિથિઓને નાટકનું મહત્વ કહી રહેલા નવલકથાકાર ધીરુબહેન પટેલ.

Lighting the Lamp


દીપપ્રાગટ્ય કરી રહેલા ભાગવત કથાકાર લાભશંકરભાઇ ઓઝા, દિનકર જોશી, ધીરુબહેન પટેલ, રમીલા તન્ના અને હેમાંગ તન્ના.


બાલભારતીના સુવર્ણજયંતી વર્ષ પ્રસંગે ધીરુબહેન પટેલ લિખિત નાટક ગગનચાંદનું ગધેડું ભજવી રહેલા બાળકલાકારો. ડાબેથી અબજુશેઠની ભૂમિકામાં જય પારેખ, ઝૂલાના પાત્રમાં જીનલ ડોડિયા, ઉલા તરીકે અંજલી ચાંપાનેરી અને ગગનચાંદ બનેલી માનસી દેસાઇ.

Monday, February 13, 2006

Gaganchand Nu Gadhedu

ગગનચાંદનું ગધેડું

બાલભારતી કાંદિવલીના બાળકોએ ભજવ્યું ધીરુબહેન પટેલ લિખિત નાટક ગગનચાંદનું ગધેડું.

બાળક જેવા બનીએ અને બાળકની દુનિયામાં પ્રવેશીએ ત્યાર બાદ જ બાળસાહિત્યનું સર્જન શક્ય બને છે. મારું આ બાળનાટક ગગનચાંદનું ગધેડું લખાયા બાદ વર્ષો સુધી એની પ્રત ખૂણામાં પડી રહી, કદાચ પસ્તીમાં પણ જાત... પણ એક સ્વજનના આગ્રહથી એ નાટક છપાયું અને બાળકોમાં પ્રિય પણ થયું! લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર, વાર્તાકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે હાલમાંજ બે વર્ષની કારકિર્દી પૂરી કરનાર લેખિકા ધીરુબહેન પટેલે આમ કહ્યું હતું.

તેઓ મુંબઇના કાંદિવલીની બાલભારતી સંસ્થાની સુવર્ણજયંતીની ઉજવણી પ્રસંગે ભજવાયેલ તેમના બાળનાટક ગગનચાંદનું ગધેડુંના પ્રયોગ દરમિયાન અતિથિવિશેષ તરીકે બોલી રહ્યાં હતાં. બાલભારતીના અઢાર બાળકોએ આ નાટક ભજવ્યું ત્યારે પ્રેક્ષકોમાં ધીરુબહેન પટેલ ઉપરાંત જાણીતા સર્જકો દિનકર જોશી, વિઠ્ઠલ પંડ્યા, જયંતી એમ. દલાલ, પ્રિયકાંત પરીખ, બકુલ રાવળ, વાર્તાકાર મિનાક્ષીબેન દિક્ષીત, ઇન્દુબહેન કે. ડી. મહેતા, કવિ મહેશ શાહ, કેળવણીકાર ભાલચંદ્રભાઇ ત્રિવેદી અને જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ હાજરી આપી હતી.

ધીરુબહેને કહ્યું કે બાળકો નાટકની તૈયારી કરે છે એ જ એક બહુ મોટી સિધ્ધિ છે. કારણકે નાટક એ એક અદભુત ક્રિયા છે. નાટકની તૈયારી કરતાં કરતાં જ બાળકો બહુ બધું શીખી લ્યે છે અને મેળવી લ્યે છે. બાળકો પોતાની મેળે ઘણું બધું નવું વિચારી શકે અને કરી શકે છે.

અતિથિ શ્રી દિનકરભાઇ જોશીએ કહ્યું કે પથ્થરમાંથી નકામો કચરો કાઢીનાખો એટલે એની અંદર રહેલી મૂર્તિ આપોઆપ દેખાઇ આવે છે. આ કામ કોઇ શિલ્પકાર જ કરી શકે. બાળકોમાં પણ અદભૂત શક્તિઓ છુપાયેલી હોય છે અને એની આસપાસ રહેલો કચરો દૂર થતાં એમની અંદર રહેલી રચનાત્મકતા ખીલી ઉઠે છે. આ સંસ્થાના સ્થાપક પ્રમોદભાઇ તન્ના આવા જ એક શિલ્પી હતા એનો મને પોતાને વ્યક્તિગત અનુભવ છે.

નવલકથાકાર શ્રી દિનકરભાઇએ પમોદભાઇ તન્ના સાથેના પાંચ દાયકા પૂર્વેના સંસ્મરણો તાજા કર્યાં હતાં. શિક્ષણ સિવાયની પ્રવ્રૂત્તિ બાળક માટે નવા વિશ્વની બારી ઉઘાડી આપે છે એની તેમણે વાત કરી હતી અને સંસ્થાની પ્રવ્રૂત્તિઓને બીરદાવી હતી.

પ્રથમ વાર મંચ પર રજૂ થતાં આ નાટકના બાળ અભિનેતાઓના દિગ્દર્શનની જવાબદારી જિમીત મલ અને નિખિલ જોષીએ નિભાવી હતી. પ્રતિમા પંડ્યાએ નિર્માણ અને દિગ્દર્શન સહાયક તરીકે પોતાનું યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમની પરિકલ્પના તૈયાર કરનાર હેમાંગ પ્રમોદ તન્નાએ કહ્યું કે ગગનચાંદનું ગધેડું નાટકમાં એમ પાત્ર કહે છે જેને આવડે તેને તો સહુ શિખવાડી શકે પણ જેને ના આવડતું હોય એને પણ શિખવાડી શકે એને જ ખરો જાદુગર કહેવાય. અમે ક્યારેય મંચ પર ઉભા ન થયા કે નાટ્યની તાલીમ પણ ક્યારેય લીધી હોય અને વર્ગમાં પણ બોલવામાં ખંચકાટ અનુભવતા હોય એવા બાળકો પાસે માત્ર 23 દિવસમાં આ નાટક તૈયાર કરાવીને અવો જ જાદુ કરવાનો પ્રયાસ કર્યો છે.

કાર્યક્રમનું સંચાલન કવિ સંજય પંડ્યાએ કર્યું હતું. બાલભારતીના માનદ મંત્રી ધર્માંશુભાઇ મર્ચંટે અતિથિઓનું સ્વાગત કર્યં હતું.

Sunday, February 12, 2006

Makabo: Media Town of Mumbai

મકાબો: એક મીડીયા ટાઉન
[‘Makabo’ means Malad-Kandivali-Borivali. These three towns are now one of the most lively and vibrant suburbs of Mumbai. This article is about prominent journalists, reporters, writers, columnist, broadcasters, authors, poets and media mandarins living and working in Makabo.]

ચર્ચગેટ, રાત્રે 11 વાગ્યે. ચાળીસ વર્ષ પહેલાં:

''આકાશવાણી. આ સમાચાર આપને પ્રમોદ તન્ના વાંચી સંભળાવે છે.'' આજથી ચાળીસેક વરસ પહેલા આ અવાજ મુંબઇમાં રહેતા દરેકે દરેક ગુજરાતી દરરોજ રાત્રે રેડિયો પર કાન દઈને સાંભળતા. પૂર્વ આફ્રિકાના મૂળ ગુજરાતી વતનીઓ માટે ખાસ મુંબઇથી પ્રસારિત થતા આ સમાચાર, મુંબઇમાં પણ અત્યંત માનીતા થયા હતા. રેડિયો એ જમાનામાં એકમાત્ર વ્યાપક પ્રસાર માધ્યમ હતું અને આ સમાચાર આપનાર વ્યક્તિનો અવાજ અને એમની લાક્ષણિક છટા, આ સમાચાર પ્રસારણની લોકપ્રિયતાના મુખ્ય બે કારણો ગણાવી શકાય. પચાસથી સિત્તેરના દાયકામાં, મુંબઇના ગુજરાતીઓની ટેવ બની ગયેલા આ રેડિયો પ્રસારણના ઉદ્ગાતા પ્રમોદ તન્ના કાંદિવલીમાં વસવાટ કરતા અને એમના સાથી નાનાલાલ વસા બોરિવલીમાં રહેતા. આ બંને વ્યક્તિ આજે હયાત નથી પણ એક જમાનામાં એમનો અવાજ પોતાની આજુબાજુમાં કે ઉપનગરની ટ્રેનમાં સાંભળી લોકો એમને મળવા પડાપડી કરતા. કોઈ કલાકાર, અભિનેતા કે નેતા ન હોવા છતાં એમની લોકપ્રિયતા એ જાહેર પ્રસારણ માધ્યમોના મહત્વ વિશે ઘણું કહી જાય છે.

ચર્ચગેટ સ્ટેશનથી દરરોજ રાત્રે 11 કે 11:10ની બોરીવલી જતી ધીમી ટ્રેનના પહેલાં વર્ગના ડબ્બામાં એક ખાસ માહોલ છવાયેલો રહેતો. પ્રમોદ તન્ના અને નાનાલાલ વસા દરિયાપાર વસતા ગુજરાતીઓ માટેના સમાચાર પ્રસારિત કરી પાછા ઘરે જવા આ ટ્રેનમાં પ્રવાસ કરતા. ઉપનગરમાં વસતા પત્રકરો અને પ્રતિષ્ઠિત નાગરિકો આ સમયની આસપાસ ચર્ચગેટ વિસ્તારમાં હોય તો ઘરે પાછા ફરવા અચૂક આ જ ટ્રેન પકડવાનો આગ્રહ રાખતાં. એનું કારણ આ બન્ને ઉદ્ગાતાઓ પાસેથી જાણવા મળતા સમાચારો, માહિતી અને અફવાઓ તથા એમની સાથે કરવા મળતી લાક્ષણિક ગપ્પાંગોષ્ઠી અને ચર્ચાઓ. આ ડબ્બામાં તમે ક્યારેક પ્રવાસ કર્યો હોય તો ગુજરાતી પત્રકાર જગતનાં પ્રતિષ્ઠિત ચહેરાઓ પણ જોવા મળતા. જેમાં મુંબઇ સમાચારના શ્રી દિનેશ રાવળ, જામે જમશેદના શ્રી મનુભાઇ દવે, જનશક્તિના હસમુખ ગાંધી, રમેશ જાદવ, મકરંદ શુક્લ, સંદેશના સુધીર માંક્ડ અને ઉપનગરમાં વસતા અન્ય પત્રકારો સાથે મેળાપ થતો. આમાં ક્યારેક એડવર્ટાઇઝીંગ, રેડિયો અને નાટ્ય જગતના મહારથીઓ પણ જોડાતાં જેમાં ઇન્ડિયન એકસ્પ્રેસના શ્રી રમેશ શાહ અને ક્યારેક ક્યારેક 'અભિનય સમ્રાટ' ઉપેન્દ્ર ત્રિવેદી પણ જોવા મળતાં. આ ટ્રેન અને આ ડબ્બો આજે ઇતિહાસ બની ગયાં છે. સાઠ અને સિત્તેરના દાયકાની આ એક નાની અમથી અદ્ભુત ઘટના છે. આ સમય, આ ટ્રેન અને એક જ ડબ્બામાં ભેગી થતી આવી વિવિધતાભરી વ્યક્તિઓ હવે જોવા મળતી નથી.

રખે કોઈને એમ લાગે કે પ્રમોદ તન્ના અને નાનાલાલ વસા માત્ર શ્રેષ્ઠ ઉદ્ગાતા કે પ્રવક્તા જ હતાં. આ બન્ને સરકારી માધ્યમમાં કામ કરતાં હોવા છતાં અત્યંત નિર્ભીક પત્રકારો હતાં. કટોકટીના સમયમાં લાદવામાં આવેલી પ્રેસ સેન્સરશિપનો આ બન્નેએ ચતુરાઈ અને હિંમતથી અનાદર કર્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના અખબારી સ્વાતંત્ર્યને ગળે ટૂંપો દેવાના પ્રયત્નો સામે ઊભા રહેલાં કેટલાંક ગણ્યાગાંઠ્યા અખબારો અને પત્રકારોમાં વડોદરાના ભૂમિપુત્ર, મુંબઇના જન્મભૂમિ અને ઇન્ડિયન એકસ્પ્રેસની ભૂમિકાની કદર થાય છે. પરંતુ આ બધા મોટા નામો ઉપરાંત પ્રમોદ તન્ના અને નાનાલાલ વસાએ કરેલી વ્યક્તિગત લડત એટલી જ નોંધપાત્ર છે. એમણે આકશવાણીના માધ્યમ દ્વારા લગભગ દોઢ વર્ષ સુધી 1977ની કટોકટી સમયની કૉન્ગ્રેસ સરકારની વિરુદ્ધ અવારનવાર અનેક સમાચાર, અહેવાલો પ્રસારિત કર્યાં હતાં. આકાશવાણી દ્વાર જ સરકારની ટીકા થાય એવું એ સમયે ભાગ્યે જ બન્યું હશે. આ બન્ને સામે, સરકારની આલોચના કરતાં સમાચારો અને અહેવાલો પ્રસારિત કરવા માટે આકાશવાણીએ એક આંતરિક તપાસ સમિતિ પણ નિયુક્ત કરી હતી. પણ આ તપાસમાં બન્નેએ કુનેહપુર્વક જવાબો આપીને પોતે સરકાર વિરુદ્ધ કોઈ પ્રચાર કર્યો છે એવા આરોપોનું ખંડન કર્યું હતું. "અમે માત્ર સમાચાર સંપાદક છીએ અને આકાશવાણી પરથી અમે મહત્વના સમાચારોનું જ પ્રસારણ કર્યું છે" એવું પ્રતિપાદિત કરી બન્ને પોતાની નોકરી બચાવવામાં અને સજાથી બચવામાં સફળ રહ્યાં હતાં.

કાંદિવલી એટલે મીડીયા ટાઉન

કાંદિવલી અને બોરિવલી તથા મલાડમાં પ્રસારણ માધ્યમો સાથે સંકળાયેલી આવી અનેક વ્યક્તિઓએ વસવાટ કર્યો છે. આ દૃષ્ટિએ કાંદિવલીને મીડીયા ટાઉન ગણાવીએ તો એ કંઈ અતિશયોક્તિભર્યું નહિ કહેવાય! કાંદિવલી ટાઉન ઑબ્ઝર્વર શરૂ થયું એના અનેક દાયકા પહેલા અહીંથી ઉપનગર સંદેશ નામનું, આમ તો ચોપાનિયું કહી શકાય એવું સાપ્તાહિક પ્રગટ થતું હતું. એના તંત્રી હતા સ્વ. નેણશી ઘેલાણી. આજના સોના શોપીંગ સૅન્ટર અને સ્ટેશન રોડ પર સ્થિત પાકીઝા સ્ટોર્સની વચ્ચેના ભાગમાં ઘેલાણીનું 'ઉપનગર સંદેશ' એક ભાંગ્યાતૂટ્યા શેડમાંથી હેન્ડ કમ્પોઝ અને ટ્રેડલ પ્રિન્ટિંગ દ્વારા પ્રગટ થતું હતું. આ અઠવાડિકમાં એકલદોકલ સમાચાર અને જાહેરખબર ઉપરાંત માનો યા ના માનો શીર્ષક હેઠળ કાંદિવલીના ભલભલા માંધાતાઓની ખબર લઈ લેવામાં આવતી હતી. માત્ર આ કોલમ ખાતર લોકો એ છાપું વાંચતા. આ અખબાર એ જમાનાના રડ્યાખડ્યા ન્યૂઝ સ્ટૉલ પર પણ જોવા મળતું નહિ. સ્વ. ઘેલાણીનો પટાવાળો જ આ છાપું કાંદિવલીની અગત્યની વ્યક્તિઓના ઘરમાં પહોંચતું કરતો. 'ઉપનગર સંદેશ'નું બીજું મહત્વ એટલે એ સમયની 11માં ઘોરણની પરીક્ષાના પરિણામો. પરીક્ષાના પરિણામો જાહેર થવાના હોય એના આગલા દિવસની રાત્રે જુવાનિયાઓ 'ઉપનગર સંદેશ'ની બહાર લાંબી કતાર લગાડતા. (તે જમાનામાં પરીક્ષાના પરિણામો પહેલા છાપામાં છપાતા અને પછી શાળામાં પરિણામોની નકલ મળતી.) આજુબાજુના અનેક વિસ્તારોમાંથી પણ છોકરાઓ પોતાનું પરિણામ જાણવા 'ઉપનગર સંદેશ' આગળ ધમાચકડી મચાવતા. લગભગ આખી રાત ગોકીરો ચાલતો.

મુંબઇના પરિપ્રેક્ષ્યમાં આમ તો કાંદિવલીનું એ સમયે કોઈ ખાસ મહત્ત્વ નહોતું પણ અહીંના રહેવાસીઓ રાજકીય અને સામાજિક રીતે ઘણા જાગૃત હતા. છાપા વાંચવાનો, સમાચાર સાંભળવાનો અને કોઈ બજારમાં મળી જાય તો છેલ્લામાં છેલ્લી રાજકીય ઘટનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવાનો કાંદિવલીના ગુજરાતીઓનો ખાસ શોખ હતો. એમાંય પ્રમોદ તન્ના, પ્રદીપ તન્ના અથવા વ્રજલાલ વસાણી જેવા પત્રકારો કે સ્વ. મંગુભાઈ દત્તાણી, સ્વ. પ્રીતમલાલ પારેખ અથવા સ્વ. શાંતિલાલ મોદી જેવા રાજકીય નેતાઓ બજારમાં મળી જાય તો ચર્ચાનો રંગ કંઈ ઓર જ જામે અને મંડળી ભેગી થાય તો ક્યારેક સમયનું ભાન પણ ન રહે.

મુંબઇના શીરમોર રીપોર્ટરો

પ્રદીપ તન્ના
અને વ્રજલાલ વસાણી કાંદિવલીની પારેખ ગલીમાં રહેતા. આ બંનેએ મુંબઇના દૈનિક 'જન્મભૂમિ'માં પહેલા રીપૉર્ટર, પછી ચીફ રીપૉર્ટર અને છેલ્લે સહાયક-તંત્રી તરીકે સેવાઓ આપી. વસાણીભાઈ આજે પણ નિવૃત્તિની પળો પારેખ ગલીમાં રહીને પસાર કરી રહ્યા છે. જ્યારે પ્રદીપભાઈ શિવાજી રોડ પર ગોકુળ ગૌરવ એપાર્ટમૅન્ટમાં નિવૃત્ત જીવન ગાળે છે. આ બંને ઊંચા ગજાના પત્રકારો હતા અને પત્રકાર જગતમાં હોવા છતાં વ્યક્તિગત લાલચ કે પ્રતિષ્ઠાની ખેવનાથી પર હતા. કોઈપણ પ્રેસ કૉન્ફરન્સમાં રુઆબભેર ભેટસોગાદો લેવાની ઘસીને ના પાડનારા ગણ્યાગાંઠ્યા પત્રકારોમાં બંનેનો સમાવેશ થાય છે. તેઓ નિભિર્ક્તાથી લખતા અને સારી બાબતોની પ્રશંસા ખુલ્લા દિલે કરતા. વસાણીભાઈએ કાંદિવલીના મટકાવાળાઓ વિશે 'જન્મભૂમિ'માં એક લેખમાળા લખી. ક્યાં, કોણ, કઈ રીતે અને કેટલા પાયે ગેરકાયદે મટકાના ધંધા ચલાવે છે એની વિગતવાર હકીકતો છાપીને એમનો રોષ વહોરી લીધો હતો. એ જમાનામાં એમને અનેક વખત મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વસાણીભાઈ આટલેથી અટક્યા નહિ. એમણે વાપી-દમણ વિસ્તારમાં તે સમયે ચાલતી સોનાની દાણચોરી વિશે પણ સંશોધનાત્મક અહેવાલના શિરમોર જેવી લેખમાળા પણ 'જન્મભૂમિ'માં લખેલી. આ અહેવાલ માટે તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ પત્રકારત્વ માટેનો તે વર્ષનો સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

પ્રદીપ તન્ના એકંદરે શાંત અને મૃદુભાષી વ્યક્તિ. પણ એમનું લેખન પણ એટલું જ ધારદાર ખેલકૂદ જગતમાં એમની જાણકારી અને જ્ઞાન વિશેષ. 'જન્મભૂમિ'માં એમણે વર્ષો સુધી ખેલકૂદ અને ખાસ કરીને ક્રિકેટ વિશે એક કટાર ચલાવી હતી. રિપોર્ટીંગ કેમ કરવું એ શીખવું હોય તો પ્રદીપ તન્ના પાસે જ શિખાય. મારા પત્રકારત્વની કારકિર્દીના આરંભના વર્ષો મેં બંનેની છત્રછાયા હેઠળ પસાર કર્યા એનું મને ગૌરવ છે.

આ બંને ઉપરાંત મલાડમાં વર્ષો સુધી રહેલા શ્રી રમેશ જાદવ 'જન્મભૂમિ-પ્રવાસી'માં રીપૉર્ટર તરીકે કામ કરતાં પત્રકારત્વ વિશે મને ઘણું શીખવા જાણવા મળ્યું. રમેશ જાદવ નવા શરૂ થયેલા સવારનાં દૈનિક 'જન્મભૂમિ-પ્રવાસી' (જે હવે બંધ થઈ ગયું છે)ના સમાચાર સંપાદક (ન્યૂઝ એડીટર) હતા. અગાઉ તેમણે તે સમયના 'જનશક્તિ'માં વર્ષો સુધી કામ કર્યું હતું. ગુજરાતી અખબારોમાં ખરેખર કોઈ સમાચાર સંપાદકને ન્યૂઝ સેન્સ હોય તો એમાં રમેશ જાદવનું નામ મોખરે મૂકવું પડે. આ કોઈ અતિશયોક્તિભર્યું કે ખુશામતભર્યું વિધાન નથી. અખબારમાં સહુથી કપરું કામ ન્યૂઝ એડીટરનું છે. દર મિનિટે ટેલિપ્રિન્ટર પરથી આવતા એકધારા સમાચારોના તાર જોતા રહેવું, એની તારવણી કરવી, કયા સમાચાર લેવા કે નહિ લેવા, કેટલા પ્રમાણમાં કયા પાને લેવા, એના મથાળા નક્કી કરવા અને સમગ્ર અખબારને લેઆઉટ, અને બીજા અનેક કામો સમાચાર સંપાદકે રોજેરોજ કુનેહપૂર્વક અને સમયની પાબંદીમાં રહીને કરવાના હોય છે. આ કામ કોઈ કાચાપોચાનું નથી. રમેશભાઈ સાચા અર્થમાં ન્યૂઝ એડીટર હતા. એક દૈનિક અખબાર તરીકે 'પ્રવાસી'એ પ્રારંભનાં તબક્કામાં મેળવેલી પ્રતિષ્ઠા મોટેભાગે રમેશભાઈની સમાચાર સંપાદનની સૂઝને આભારી છે. તેઓ સમાચાર સંપાદન કરવા ઉપરાંત પ્રવાસીમાં દર અઠવાડિયે વિજ્ઞાન વિષયક કટાર લખતા. જેમાં એમણે વિજ્ઞાનના વિષયોની સમજ અત્યંત સરળ અને રસપ્રદ શૈલીમાં આપવામાં સફળતા મેળવી હતી.

મલાડમાં બીજું પણ એક પત્રકાર કુટુંબ વર્ષોથી વસવાટ કરે છે. સ્વ. જયંતિ શુક્લ અને એમના પુત્ર મકરંદ શુક્લ. સ્વ. શ્રી જયંતિ શુક્લ અનેક વર્ષો સાંજના દૈનિક 'જન્મભૂમિ'ના તંત્રી રહી ચૂક્યા હતા. એમની સેવાઓની કદરરૂપે આજે મલાડ પશ્ચિમમાં બૉમ્બે ટૉકીઝ વિસ્તારમાં એક માર્ગને જયંતિ શુક્લ માર્ગ નામ આપવામાં આવ્યું છે. એમના દીકરા મકરંદ શુક્લ ગુજરાતી દૈનિક 'જનશક્તિ'માં વર્ષો સુધી કામ કરીને 'પ્રવાસી'ના ચીફ રીપૉર્ટર તરીકે જોડાયા હતા. અનેક વર્ષો સુધી એમણે નગરના રાજકારણ અને નાગરી સમસ્યાઓ વિષે ઉત્તમ કક્ષાનું રિપોર્ટીંગ કર્યું હતું.

'સંદેશ' દૈનિકની મુંબઇ સાપ્તાહિક પૂતિર્માં અનેક વર્ષો સુધી તેજાબી કલમે સનસનીખેજ અહેવાલ લખીને પ્રખયાત બનેલા સ્વ. શ્રી સુધીર માંકડ પણ વર્ષો સુધી બોરિવલીમાં વસવાટ કરતાં હતા. એજ પ્રમાણે 'જનશક્તિ' અને 'જામે જમશેદ' બંને અખબારોમાં વર્ષો સુધી વૃત્ત સંપાદક તરીકે કામ કરી ચૂકેલા શ્રી મનુભાઈ દવે પણ બોરિવલીમાં રહે છે. આ બંનેને ગુજરાતી પત્રકારત્વની સહુથી કલરફૂલ વ્યક્તિઓ ગણાવી શકાય. એમની સાથે અર્ધો પોણો કલાક પણ તેમને ગાળવા મળ્યો હોય તો એ ક્ષણો જિંદગીભર યાદ રહી જાય. આ બંને તદ્દન નિભિર્ક અને ગમે તેવા તીસમારખાને પણ શિંગડા ભરાવીને પછાડી શકે એવા હતા. પણ આ બંને પત્રકાર જગતમાં સહુથી ઓછી કદર અને ઓછું મૂલ્યાંકન પામનારી વ્યક્તિઓ રહ્યા છે.

છેલ્લા બે દાયકાથી અનેક નામી પત્રકારોએ મલાડ, કાંદિવલી, બોરિવલીને પોતાનું ઘર બનાવ્યું છે. જેમાં 'સમકાલીન'નાં તંત્રી જનક શાહ, 'અભિયાન'ના ભૂતપૂર્વ સંપાદક વિનોદ પંડ્યા અને અત્યારના સંપાદક રમેશ દવે, 'ગુજરાત સમાચાર' સાપ્તાહિક પૂતિર્ના સંપાદક ભાલચંદ્ર જાની, 'જન્મભૂમિ' સાપ્તાહિક પૂતિર્ના સંપાદક તરુબહેન કજરીયા, 'વ્યાપાર'ના તંત્રી રાજેશ ભાયાણી, મુંબઇ સમાચારના વિનીત શુક્લ, ત્રિવેણી આચાર્ય, 'ચિત્રલેખા'ના અજીત પોપટ, ભુતપૂર્વ અખબાર 'સમકાલીન'ના મેહુલ દાણી, બીમલ મહેશ્વરી (હાલ ચિત્રલેખા) 'ગુજરાતમિત્ર'ના ધર્મેશ ભટ્ટ વગેરે.

મોખરાના કટાર લેખકો:

કાંદિવલીએ ગુજરાતી પત્રકારત્વને ત્રણ ટોચના કટારલેખકો આપ્યા છે. આમાં સહુથી મોખરે શ્રી કાંતિ ભટ્ટ, પ્રાધ્યાપક નગીનદાસ સંઘવી અને ગિરીશ ગણાત્રા. કાંતિ ભટ્ટ અનેક વર્ષો સુધી કાંદિવલીમાં જ રહ્યા છે. એમણે 'અભિયાન' પણ કાંદિવલીમાંથી શરૂ કરેલું. છેલ્લા કેટલાક વર્ષોથી કાંતિ ભટ્ટે બોરિવલીના સાંઈબાબા નગરને પોતાનું ઘર બનાવ્યું છે.

ગુજરાતી પત્રકારત્વમાં સ્વતંત્ર કટારલેખક તરીકે કોઈ એક નામ લેવું હોય તો એ કાંતિ ભટ્ટનું જ હોઈ શકે. કોઈપણ અખબાર સાથે જોડાયા વગર સમગ્ર ગુજરાત અને મુંબઇના વાચકોની રુચિને કેળવવાનું કામ એમણે કર્યું છે. એમના વાંચનનો વ્યાપ અને એમની લોકભોગ્યતાને આંબી જવું એ બીજા કટારલેખકો અને પત્રકારો માટે અઘરું છે. કાંતિ ભટ્ટનું ખાસ મહત્વ એટલા માટે છે કે તેમણે વ્યવસાય તરીકે માત્ર પત્રકારત્વને જ સ્વીકાર્યું છે. એમણે માત્ર અખબારી લેખો લખીને જ નામના મેળવી છે. આજે પણ નવા અખબાર કે સામયિક શરુ કરનાર વ્યક્તિ પોતાના સાહસની સફળતા માટે કાંતિ ભટ્ટની કલમ ઉપર મદાર રાખવાનું પસંદ કરે છે.

એમના પત્ની શીલા ભટ્ટ પણ કાંદિવલીના વતની રહ્યા છે. હાલમાં તેઓ દિલ્હી જઈને વસ્યા છે અને રિડિફ કમ્યુનિકેશનના અમૅરિકાથી પ્રગટ થતા અખબારના ખાસ સંવાદદાતા છે. એમની સફળતા "કાંતિ ભટ્ટ સ્કૂલ ઑફ જર્નાલિઝમ"ને આભારી છે.

'ભારતીય રાજકારણ વિશે ઊંડી સૂઝ દર્શાવતી કટાર દ્વારા અનેક ગુજરાતી અખબારો અને સામયિકોને માતબર બનાવનાર પ્રો નગીનદાસ સંઘવી લગભગ ચાર દાયકા કાંદિવલીનાં ચાર બંગલા વિસ્તારમાં રહી ચૂક્યા છે. ગુજરાતી ભાષાના વિદ્વાનો તથા અભ્યાસી ચિંતકોમાં માં એમનું નામ મોખરે છે. તથ્યોની આધારભૂતતા સાથે ધારદાર રાજકીય સમાલોચન કરવું એ એમનું આગવું વૈશિષ્ઠ્ય છે. તેઓ વિલેપાર્લેની મીઠીબાઇ કૉલેજમાં રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસના સફળ પ્રાધ્યાપક પણ રહી ચૂક્યા છે.

ઘણા ઓછા લોકોને ખબર હશે પણ પ્રખ્યાત કટાર લેખક સ્વ. ગિરીશ ગણાત્રા સાઠના દાયકામાં કાંદિવલીના તે સમયે છત્રી કારખાના નામે ઓળખાતા અને હાલના તુરખીયા પાર્ક વિસ્તારમાં રહેતા હતા. ગિરીશ ગણાત્રા એ સમયે ઓલ ઈન્ડિયા રેડિયોમાં બાળ વિભાગમાં કાર્યક્રમોનું સંચાલન અભિનેતા તરીકે નાટકોમાં પણ હાથ અજમાવી ચૂક્યા હતા. અત્યારે એમની નામના 'જન્મભૂમિ'ના ગોરસ અને 'મુંબઇ સમાચાર'ના જીવનશિલ્પની કટારને કારણે છે. પરંતુ ગિરીશ ગણાત્રાએ ગુજરાતી ભાષાને બાળ સાહિત્યની શ્રેષ્ઠ સાહસ કથાઓ અને અન્ય વિજ્ઞાન સંબંધી પુસ્તકો પણ આપ્યા છે.

લેખકો અને કવિઓ:

ખ્યાતનામ ગુજરાતી કવિ સ્વ. શ્રી વેણીભાઇ પુરોહિત અને સ્વ. શ્રી પ્રલ્હાદ પારેખ સાઠના દાયકામાં કાંદિવલીમાં રહેતા. વેણીભાઇ પુરોહિત વર્ષો સુધી જન્મભૂમિમાં સમાચાર સંપાદક રહી ચુક્યા હતા. સ્વ. પ્રલ્હાદ પારેખ એટલે ઋજુતાના કવિ. તેમણે બાળકાવ્યો પણ રચ્યા છે. પ્રલ્હાદ પારેખ ન્યુએરા સ્કુલમાં ભણાવતા અને ગુજરાતી રંગભૂમીના શ્રેષ્ઠ દિગ્દર્શક સ્વ. પ્રવીણ જોષીના શિક્ષક હતા.

આ લેખ આમ તો મિડીયા સાથે સંકળાયેલી વ્યક્તિઓ સંબંધી છે. પણ કવિ અને લેખકની વાત નીકળી છે તો ગુજરતી ભાષાના સહુથી લોકપ્રિય લેખક શ્રી વિઠ્ઠલ પંડ્યાનું નામ લખ્યા વગર ચાલે નહીં જ. ફિલ્મ દિગ્દર્શનના ક્ષેત્રમાં વર્ષો સુધી યોગદાન આપ્યા બાદ મુરબ્બી વિઠ્ઠલભાઇએ વ્યવસાયી નવલકથાકાર તરીકે બેજોડ ખ્યાતિ મેળવી છે. છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી વિઠ્ઠલભાઇએ કાંદિવલીને તેમનું ઘર બનાવ્યું છે. તેમણે ક્ટાર લેખકનો કસબ પણ એટલીજ ખૂબીથી નિભાવ્યો છે. ફિલ્મ જગતના તેમના સંસ્મરણો અસલી નકલી ચહેરાપુસ્તક તરીકે બેસ્ટસેલર બન્યું તે પહેલાં સમકાલીનમાં એક કટર તરીકે ખુબ ગાજ્યું હતું. તેમના કવિ પુત્ર શ્રી સંજય પંડ્યા પણ કાંદિવલીમાં વસવાટ કરે છે.

પ્રકાશનો પડછાયોઅને પ્રતિનાયકજેવી ઐતિહાસિક નવલકથાઓ આપનાર પીઢ સાહિત્યકાર શ્રી દિનકર જોશી પાંચ દાયકાથી કાંદિવલીમાં રહે છે. કાંદિવલીનો ઇતિહાસ એમને મોઢે છે. તેઓ માત્ર આ નગરને ઓળખે છે એવું નથી, નગરના અનેક નામી અનામી વ્યક્તિઓ, કુટુંબો અને તેમના જીવનપ્રવાહને તેમણે નજદીકથી નિહાળ્યો છે. તેમની એક નવલકાથા એકડા વગરના મીંડાકાંદિવલીમાં આકાર લ્યે છે.

અનેક યુવાન કવિઓ અને વાર્તાકારો મલાડ, કાંદિવલી, બોરીવલીમાં વસે છે. આમ તો આ યાદી ઘણી લાંબી થાય પણ નોંધ પાત્ર નામો ગણાવવા હોય તો મનોજ શાહ, હિતેન આનંદપરા, દિલિપ રાવળ અને આશા પુરોહિત નોંધપાત્ર છે. વાર્તાકાર શ્રીમતી ઇન્દુબહેન કે. ડી. મહેતા મલાડમાં રહે છે.

વ્યવસાયી પત્રકોરોની ભૂમિ:

જનશક્તિમાં વૃત્ત સંપાદક તરીકે કામ કરી ચૂકેલા શ્રી
અવંતિ દવે પણ વર્ષો સુધી બોરીવલીમાં રહેતાં હતાં. 1963માં જનશક્તિ અખબારમાં જોડાઈને પત્રકારત્વની કારકિર્દીનો આરંભ કર્યો. સાહિત્ય મંગલ શીર્ષક હેઠળ પ્રગટ થતી કટારમાં એમણે અનેક લોક્પ્રિય પુસ્તકોના વિવેચનો કર્યાં. ગ્રંથ સામયિકમાં પણ તેમણે કામ કર્યું. આકાશવાણી પર ગુજરાતી વિભાગમાં ગ્રંથનો પંથ નામે વિવેચનનો રેડિયો કાર્યક્રમ પણ તેમણે વર્ષો સુધી આપ્યો. ગુજરાતી ભાષાના સારા વિવેચકોમાં એમની ગણના થતી.

અવંતિ દવે વિષે એક પ્રસંગ નોંધવા જેવો છે. એ સમયમાં સાહિત્યના પાના પર પ્રગટ થયેલા એમના પુસ્તકાવલોકન સંબંધે પહેલી જ વાર દિનકરભાઇ જોષી એમને મળવા જનશક્તિમાં ગયા. "અવંતિ એટલે કોણ, કેવી અને કેવડી મહિલા હશે એ વિશે મનમાં પાર વિનાના વિચારો ચાલતા હતાં. પણ અવંતિને જ્યારે મળ્યા ત્યારે પેલા વિચારોને ધક્કો લાગ્યો. આમ છતાં અવંતિનો જે નવો પરિચય થયો એનો આનંદ પણ ઓછો નહોતો. ઋજુતા, માર્દવતા, સૌમ્યતા અને સ્નેહ આને જો સ્ત્રૈણ ભાવ કહેવાતા હોય તો આ બધા જ ભાવ મને અવંતિ દવે પાસેથી પહેલી જ મુલાકાતે સાંપડ્યા હતાં." આવો જ અનુભવ વિઠ્ઠલ પંડ્યા અને ચંદુલાલ સેલારકાએ પણ વર્ણવ્યો છે.

માત્ર પત્રકારો અને રિપોર્ટરો જ નહીં પરંતુ અખબાર માલિકો પણ કાંદિવલીને મળ્યા છે. અભિયાનસામાયિકના સ્થાપક અને ઊદ્યોગપતિ શ્રી અવિનાશ પારેખ મલાડમાં મોટા થયા અને કાંદિવલીને તેમનું વ્યવસાય અને સામાજિક ક્ષેત્ર બનાવ્યું. દર મહિનાના પહેલા રવિવારે સાહિત્ય અને સાહિત્યકારો સાથે ગપ્પા ગોષ્ઠીની જેવી તેમની કોફી મેટ્સસાહિત્ય સંચારની પ્રવ્રુત્તે ને મકાબોમાં અત્યંત લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે.

તેજ પ્રમાણે પત્રકાર, પટકથા લેખક અને કાંદિવલી ટાઉન ઓબ્ઝર્વરના પ્રકાશક-સંપાદક હેમાંગ પ્રમોદ તન્ના પણ કાંદિવલીના જ છે.

વ્યવસાયી પત્રકાર તરીકે કામ કરનાર કેટલીક અન્ય પીઢ વ્યક્તિઓ કાંદિવલીમાં રહે છે એમાં મુંબઇ સમાચારમાં વર્ષો સુધીની કારકિર્દી બાદ નિવૃત્ત થનાર દિનેશભાઇ રાવલનું મુખ્ય છે. તેઓ મુંબઇ સમાચારમાં ઉપ-મુખ્ય સમાચાર સંપાદક તરીકે કાર્ય કરતા હતાં. હાલ તેમના પુત્ર અતુલ રાવલ પણ મુંબઇ સમાચારમાં જ પત્રકાર તરીકે કાર્ય કરી રહ્યાં છે. મુંબઇ સમાચારના બીજા એક ઉપ-મુખ્ય સમાચાર સંપાદક પણ કાંદિવલીમાં રહે છે અને એ છે મહેન્દ્ર પુનાતર. વાચકો સુધી દરરોજ સમગ્ર અખબાર સુપેરે પહોંચાડવાની જવાબદારી ઉપ-મુખ્ય સમાચાર સંપાદક (એટલે કે ચીફ-સબ-એડીટર) ની હોય છે. તંત્રીની જવાબદારી વહન કરવાનું કામ આ લોકો કરે છે. તંત્રીઓ મોટે ભાગે માત્ર સંપાદકીય લેખ લખતા હોય છે અને ક્યારેક કોઈક સમારંભમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપતા હોય છે. સારા ચીફ-સબ-એડીટર વગર કોઈ અખબાર લાંબો સમય ટકી શકે નહીં એ આ બંને વ્યક્તિ વિશે વાત કરતાં અહીં નોંધવું જોઈએ.

વાણિજ્ય પત્રકારત્વના બે મોટા નામો કનુભાઇ મોદી (જન્મભૂમિ) અને શાંતિલાલ શેઠ (મુંબઇ સમાચાર) પણ કાંદિવલીના છે. એજ પ્રમાણે જ્યોતિષની ક્ટાર દ્વારા લોકપ્રિય બનેલા હરિહર પંડિત મહેસાણાવાળા અને એમના પુત્ર જિતેન મહેસાણાવાળાનું કુટુંબ બોરીવલીના જૂના અને જાણીતા નામ વાળું ગણાય.

આ લેખમાળા કોઈ પત્રકાર યાદી કે મિડીયા ડિરૅક્ટરી નથી છતાં સાંપ્રત સમયમાં અનેક યુવા પત્રકારો પણ મલાડ, કાંદિવલી અને બોરીવલીમાં આવીને વસ્યા છે એ નોધવું જોઈએ. આમાં મુંબઇ સમાચારના રીપૉર્ટરો ગીતા પંડ્યા, નંદિની ત્રિવેદી અને કૃષિક રાવ, ફોટોગ્રાફર નિકૉલસ યાર્ડે; જન્મભૂમિના આશા ગોસ્વામી, સરોજ પોપટ અને ફોટોગ્રાફર ત્રિભુવન તિવારી; ગુજરાત સમાચારના વિકાસ વાડીકર, મિડ-ડેના અજય મોતીવાલા, ચિત્રલેખાના વર્ષા પાઠક અને હિરેન મહેતા તથા અભિયાનના રમેશ દવે એમના નોંધપાત્ર કાર્ય દ્વારા જાણીતા થયા છે. ફ્રીલાંસ પત્રકાર અને લેખિકા નીલા સંઘવી દાયકા પહેલાં તેમના પ્રિય સીવોર્ડને છોડી કાંદિવલીમાં સ્થાયી થયા છે.

ફરી આકાશવાણી:

પોતાના સુંદર અવાજને કારણે નોંધપાત્ર બની ગયેલી બે વ્યક્તિઓ પણ કાંદિવલીમાં રહે છે. આ બન્ને આકાશવાણીમાં કામ કરે છે. 'મેં એક બિલાડી પાળી છે'ની રચનાથી જાણીતા થયેલા ગુજરાતી કવિ ત્રિભોવન વ્યાસના દીકરા શ્રી વિનાયક વ્યાસે દાયકાઓ સુધી આકાશવાણીના ગુજરાતી વિભાગના ઉદ્ઘોષક તરીકે કામ કર્યું છે.ગુજરાતી ઉદ્ઘોષકો માં તેમનો અવાજ સૌથી આગવો રહ્યો છે. વર્ષોથી તેઓ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં એમનો અવાજ આજે પણ લોકો સાંભળે તો એમને પરિચિત લાગશે. એજ પ્રમાણે વિનાયક વ્યાસની આકાશવાણી પરથી નિવૃત્તિ પછી તેમની કામગીરી હાલમાં સંભાળી રહેલા શ્રી મહેશ શાહ પણ કાંદિવલીમાં રહે છે. તેઓ એક અચ્છા કવિ પણ છે.

આકાશવાણીના એક સમયના સ્ટેશન ડિરેક્ટર, ગિજુભાઇ વ્યાસ, નિવૃત્તિ પછી કેટલોક સમય કાંદિવલી આવીને વસ્યા હતાં. થોડાંક સમય પહેલાં જ નિવૃત્તિ લેનાર આકાશવાણીના બીજા સ્ટૅશન ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન વ્યાસ પણ હાલમાં કાંદિવલીના મહાવીર નગરમાં આવીને વસ્યા છે. આમ આકાશવાણીના ગુજરાતી વિભાગમાં કામ કરતી અનેક વ્યક્તિઓને કાંદિવલી, બોરીવલી સાથે ખાસ લેણું રહ્યું હોય એવું લાગે છે. આકાશવાણીમાં સાઉન્ડ રેકોડિર્સ્ટ (ધ્વનિ મુદ્રક) તરીકે અનેક દાયકાઓ સુધી કામ કરનાર શ્રીયુત માંકડ પણ કાંદિવલીમાં રહેતાં. આમ જોવા જાવ તો આકાશવાણીનો સમગ્ર ટૅક્નીકલ વિભાગ જ અનેક દાયકાઓથી મલાડ અને હાલમાં બોરીવલીમાં સ્થિત છે એ વાત ઓછી જાણીતી છે. આકાશવાણીના ટ્રાન્સમીશન ટાવરો, માર્વે રોડ પર કોઈ રિસોર્ટ કે ફિલ્મ શુટીંગના બંગલાઓ માટે જાણીતો થયો એ પહેલાંથી ત્યાં વસેલા છે. આકાશવાણીનું નવું અનુશ્રવણ વિભાગ હાલ બોરીવલીના ગોરાઇ ખાતે કામ કરી રહ્યું છે.

આમ મલાડ, કાંદિવલી અને બોરીવલીનો મિડિયા ટાઉન હોવાનો દાવો માત્ર કેટલીક વ્યક્તિઓ અહીં ઘર બનાવીને વસી છે એ પૂરતો જ સીમિત નથી. પ્રસાર માધ્યમો અને મનોરંજન સાથે સંકળાયેલી અનેક માતબર સંસ્થાઓ પણ અહીં છે. દંતકથા સમી બની ગયેલી આવી જ કેટલીક સંસ્થાઓ, જેમકે બૉમ્બે ટૉકીઝ, મેગ્ના પબ્લીશીંગ, ટાઇમ્સ ઓફ ઇંડિયા, સકાળ ઇત્યાદી વિશે આપણે પછીના બ્લોગમાં વાત કરીશું.

અને પછીના લેખમાં નાટ્યકારો અને અભિનેતાઓની વાત કરીશું.

[This article was first published in “Kandivali Town Observer,” three years ago. I have published it on the web because it is still relevant and informative. I am aware that it is not exhaustive and complete. Many prominent names are missing. If you know anyone who is worth mentioning about in this blog please leave your comment and I will update the article. Your comments are welcome.]

Friday, February 03, 2006

Noam Chomsky

નોઆમ ચોમ્સ્કી: એક પરિચય

એક ક્ષણ માટે એમ વિચારો કે તમે અત્યારે જે વાક્ય વાંચી અને સમજી રહ્યા છો તે આ અગાઉ તમે ક્યારેય વાંચ્યું કે સમજ્યા નથી. હવે એમ વિચારો કે દિવસ દરમિયાન સેંકડો વાર તમે છેલ્લા વાક્ય કરતાં અનેક ગણા મુશ્કેલ વાક્યો વાંચો અને સમજો છો. આટલી ઉચ્ચ કક્ષાની બુદ્ધિ અને સર્જનાત્મકતા, જે દરેક માનવી પાસે પૂર્ણ પણે છે, કઈ રીતે સમજાવી શકાય? નોઆમ ચોમ્સ્કી કહે છે કે "આપણે બધા ભાષા લઈને જન્મ લઈએ છે. ભાષા માનવીના મગજમાં વણાયેલી છે."

માનવીનું મગજ કઈ રીતે ભાષાનું સર્જન કરે છે એ વૈજ્ઞાનિક સત્ય અમૅરિકન ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કી જાણે છે. સાંપ્રત ભાષાવિજ્ઞાન (લિંગ્વીસ્ટીક્સ)ની બધી જ શાખાઓ તેમણે પિસ્તાળીસ વર્ષ અગાઉ લખેલા સંશોધન ગ્રંથ ‘સિન્ટેટીક સ્ટ્રક્ચર’ થી શરૂ થાય છે. તેમની ગણના ભાષાના આઇન્સ્ટાઇન તરીકે થાય છે. તેમના વિચારોનો પ્રભાવ ભાષાના શિક્ષણથી લઈને બૌદ્ધિક પ્રચાર દ્વારા થતા આર્થિક અને રાજકીય શોષણ સુધીના વિષયો પર પડ્યો છે. આવા ધારદાર વિચારક, વક્તા અને અમૅરિકાના સહુથી મોટા રાજકીય વિરોધક નોઆમ ચોમ્સ્કી ભારતમાં અનેક વાર આવ્યા છે પરંતુ મુંબઇ આવ્યા નથી.

અમેરીકી વિસ્તારવાદ, આર્થિક ઉદારીકરણ, ગ્લોબલાઇઝેશન અને સામાજિક વ્યવસ્થાઓના બજારીકરણનો વિરોધ કરતા વિચારો જો પશ્ચિમના દેશોમાં પણ ગુંજતા થયા હોય તો એનું સહુથી મોટું શ્રેય પંચોતેર વર્ષના નોઆમ ચોમ્સ્કીને જાય છે.

લાખો લોકો જેમના ‘સ્ટેંડીંગ રુમ ઓનલી’ વ્યાખ્યાનો સાંબળી ચુક્યા છે એવા ચોમ્સ્કી પોતાના વતન અમૅરિકામાં જ 'આઉટસાઇડર' છે. ચોમ્સ્કી જગવિખ્યાત મિશિગન યુનિવર્સિટી ઑફ ટૅક્નૉલૉજી (એમ.આઈ.ટી)માં છેલ્લા ચાળીસ વર્ષથી ભાષાવિજ્ઞાન શીખવે છે. તેમણે સિત્તેરથી પણ વધારે પુસ્તકો લખ્યા છે જેમાંના મોટા ભાગના રાજકારણ અને ખાસ કરીને અમૅરિકાની વિદેશ નીતિ પર છે. તેમણે સેંકડો લેખ લખ્યા છે. તેમના પ્રવચન માટે દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ બે કે ત્રણ વર્ષ અગાઉથી આયોજન કરે છે. અનેક અખબારો અને સામયિકો તેમની ફોન દ્વારા મુલાકાત માટે અગાઉથી સમય લઈ રાખે છે. તેમના પ્રવચનોમાં પહેલેથી બેસવાની જગ્યા નહીં મળે એવી જાહેરાત થતી હોય છે. છતાંય ઊભા રહીને સાંભળવા માટે લોકોની ભીડ જામે છે. અમૅરિકાના ગ્રંથપાલો અને પ્રકાશકો સ્વીકારે છે કે નોઆમ ચોમ્સ્કી અમૅરિકાના સહુથી ઉલ્લેખનીય લેખક (મોસ્ટ સાઇટેડ ઓથર) છે. પરંતુ અમૅરિકાના મોટા અખબારો અને ટીવી નૅટવર્ક (મેઇનસ્ટ્રીમ મિડિયા) ચોમ્સ્કીને ટાળે છે. અમૅરિકાની વિદેશનિતીના સૂત્રધારો અને અમલદારો તેમના નામથી ભડકે છે અથવા તેમની સામે આગ ઓકે છે. અમેરિકી વિદેશ સચિવ ક્રીસ્ટીના રોકાએ બે વર્ષ પહેલાં પત્રકારોને ગુસ્સે થઇને કહ્યું કે મેં ચોમ્સ્કીને વર્ષો પહેલાં વાંચવાનું બંધ કરી દીધું છે.

આનું મુખ્ય કારણ ચોમ્સ્કીની રાજકીય વિચારધારા છે. ખાસ કરીને અમેરિકાની વિદેશ નીતિ અને અન્ય દેશો પર પડતી તેની ગંભીર અસરની આકરી ટીકાને કારણે તેઓ તેમના જ દેશના રાજકીય અને બૌદ્ધિક વર્તુળોમાં અપ્રિય થયા છે. ભાષાશાસ્ત્રી તરીકેની કારકિર્દી ચરમ સ્તર પર હતી ત્યારે તેમણે વિયેટનામ યુદ્ધના વિરોધમાં સત્યાગ્રહ કરી જેલ વોહરી લીધી. 1969માં ‘અમૅરિકન પાવર એન્ડ ધ ન્યુ મેન્ડેરીન્સ’ પુસ્તક દ્વાર ચોમ્સ્કીએ તબીબ જેવી ચોક્કસ અને ધારદાર કલમથી પુરવાર કર્યું અમૅરિકાની સરકારને માનવીય અધિકારો, લોકશાહીનું રક્ષણ અને ન્યાયી રાજતંત્ર જેવા નૈતિક ધ્યેયો કરતાં વ્યાપારી નફો કમાવવામાં જ વધુ રસ છે. ત્યારબાદ અનેક પુસ્તકો, લેખો અને પ્રવચનોમાં ચોમ્સ્કીએ અમેરિકી સમવાયતંત્રમાં ઉચ્ચ સ્તરે ઉપયોગમાં લેવાતાં રાજકીય જુઠ્ઠાણાઓ અને દંભી વિદેશ નીતિને એકધારી રીતે ઉઘાડી પાડી. એક સમયે ન્યુ યૉર્ક ટાઇમ્સે તેમના એક પુસ્તકનું વિવેચન કરતાં લખ્યું કે "તાકાત, વિશદતા, નવીનતા અને વિચારોના પ્રભાવની દ્રષ્ટિએ જાેતાં નોઆમ ચોમ્સ્કી કદાચ અમૅરિકાના સહુથી મહત્વના જીવંત વિચારક છે. તો પછી અમૅરિકાની વિદેશ નીતિ માટે તેઓ આટલું ગંદુ કેમ લખે છે?" ત્યાર પછીના એમના બધાંજ પુસ્તકો વિષે અમૅરિકાના લગભગ દરેક મોટા અખબાર અને ટેલિવિઝન નેટવર્કે ચુપકીદી સેવી છે. ચોમ્સ્કી કહે છે કે જો "તેઓ મારા વખાણ કરતાં હોત તો મને ચોક્કસ લાગ્યું હોત કે હું કશું ભયંકર ખોટું કરી રહ્યો છું."

ચોમ્સ્કીની વિચારધારાના કેંદ્ર સ્થાને રહેલો તર્ક એ છે કે સરમુખત્યારશાહીમાં હિંસાનું જે સ્થાન છે તે જ સ્થાન લોકશાહીમાં પ્રચાર (પ્રોપેગન્ડા)નું છે. તેઓ કહે છે "અમૅરિકામાં તમારે નેશનલ ગાર્ડથી ડરવાની જરૂર નથી. સરકારી, વ્યાપારી અને શૈક્ષણિક વર્તુળો દ્વારા થતી વિચારોની અફડાતફડી (મેનીપ્યુલેશન ઓફ થોટ)થી સાવધ રહેવું જાેઇએ." તેમના કહેવા પ્રમાણે અમૅરિકાની રાજકીય વ્યવસ્થા જેમની પકડમાં છે એ ઉચ્ચ વર્ગ પોતાની ભીંસ જાળવી રાખવા, જુદી કે વિરોધી વિચારધારા ધરાવતા લોકોને 'હાંસિયામાં હડસેલી' દે છે અથવા એમને ખરીદી લે છે.

તેમની જલદ વિચારધારાને હંસી કાઢતા લોકોને ચોમ્સ્કી કહે છે કે માનવી સામાન્ય રીતે જુઠ્ઠાણાઓને નહીં માનવા ટેવાયેલો છે. "પરંતુ જો તમે થોડી ઘણી પણ સત્તા કે વગ ધરાવતા હો, પછી ભલે એ માત્ર તમારા બાળકો પર હોય, તો તમને ટૂંક સમયમાં જ સમજાઈ જશે કે લોકોને કાબૂમાં રાખવા માટે તમારે એમના દિમાગ અને વિચારો પર જ કાબૂ મેળવવો પડે છે. આનો અર્થ એમ થયો કે દરેક મહત્વની વ્યક્તિ ઓછે વત્તે અંશે કોઈક પ્રકારના પાઠ ભણાવવાની કે વિરોધીઓને ઓછા પાડવાની પ્રવૃત્તિમાં જ રાચતી હોય છે."

ચોમ્સ્કીના વિચારોના મૂળમાં એમની ભાષાવિજ્ઞાનની ફિલસૂફી ઝળકે છે. તેઓ માને છે કે સ્વ-સિદ્ધિ અને સ્વાયત્તતાની વૃત્તિ માનવાની પ્રકૃતિના કેંદ્રમાં છે. માનવ જેમ ભાષા લઈને જન્મે છે તે જ રીતે બહારના પરિબળોની શેહમાં આવ્યા વિના આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને કલાત્મક અભિવ્યક્તિ હાંસલ કરી શકે છે. તેઓ બટ્રાંડ રસેલ અને ગાંધીને પોતાના આદર્શ માને છે. તેઓ સામ્યવાદી નથી અને તેમણે માર્ક્સવાદને નકાર્યો છે. 1917ની બોલ્શેવિક ક્રાંતિને તેઓ સમાજવાદી વિચારધારાની સહુથી મોટી નિષ્ફળતા ગણે છે, જેમાંથી તે ક્યારેય બેઠું નહીં થઇ શક્યું. તેઓ કહે છે કે પુંજીવાદ અને સામ્યવાદ બંને સત્તાધારી વર્ગો દ્વાર અસહાય લોકોનું શોષણ કરવાના બે જુદા માર્ગ છે.

ઈરાકી નેતા સદ્દામ હુસેન અમૅરિકાની અન્ય દેશોનું શોષણ કરવાની વિદેશનિતીમાં સહુથી મોટો ભાગીદાર છે અને દુનિયાભરમાં અમૅરિકા આવા અનેક સરમુખત્યારોને સહારો આપે છે એવું એમણે દાયકા પહેલાં કહ્યું હતું.

સપ્ટેંબર 11ના બનાવ પછી અફઘાનિસ્તાનમાં લોકશાહીનું રક્ષણ કરવામાં અમેરીકન વહીવટીતંત્ર હવે ખરેખર હકારાત્મક અને રચનાત્મક વલણ અપનાવી રહ્યું છે એ અંગે તમે શું કહેવા માંગો છો એવા એક પ્રશ્નનો જવાબ આપતાં ચોમ્સ્કીએ કહ્યું, "એક વખત એમ. કે. ગાંધીને કોઈકે પૂછ્યું હતું કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તમે શું વિચારો છો? ત્યારે ગાંધીએ જવાબ આપ્યો હતો કે આ એક સારો આઇડિયા હોઈ શકે (ઈટ વીલ બી અ ગુડ આઈડિયા). હું પણ અમૅરિકાની બદલાયેલી વિદેશ નીતિ વિષે આમ જ માનું છું."
નોઆમ ચોમ્સ્કી વિષે એક અમૅરિકન લેખકે કહ્યું છે કે "આવા માણસો ખતરનાક હોય છે. તેમનું ન હોવું એ મોટી આફત છે." ગ્લોબલાઇઝેશનના યુગમાં નોઆમ ચોમ્સ્કીને સાંભળ્યા કે વાંચ્યા વગર માનવીય સ્વાતંત્ર્ય, સ્વાયત્તતા, પ્રગતિ અને બૌધ્ધિક નિર્ભયતા વિષેના વિચારો અધુરા રહી જવાની સંભાવના છે.

- - - - - - - - - - - -    

Wednesday, February 01, 2006

Inside the Mirror

Inside the Mirror

“If you comb at night then all the hair will fall in God’s dinner plate.” I had heard this story several times in my childhood. Even at that immature age I could not believe the story.
After growing up little more, I would comb my hair deliberately at night, just for the sake of experiment. I would wrap all the hair in a neat paper packet, put it under my bed. Early morning when Motli, our maid, came to sweep the floor, she would take away the envelope. How can those hairs reach up to God’s place? Then I was so habituated that I could not sleep without combing my hair at night.
One night, I was sitting on a stand opposite the mirror table and combing my hair. I was feeling very sleepy. But, I was thinking about the mirror and the maid sweeper Motli and all that - and I was not absolutely unaware of my own eyes seen in the mirror. Suddenly, my eyes came to me and asked, “If you allow me, I would like to go inside the mirror for some time.” I said, “Please go. If you watch something won’t I too would get to see it?”
Inside the Mirror was a huge room. Walls were full with different mirrors. The ceilings were mirrors and so was the flooring. Even the walls were just like that. Miss Mirror was sitting in a corner of that room. My eyes went to her and bowed. How arrogant was Miss Mirror! She just did not return my bow! My eyes swallowed that insult and set before her. Thinking that one should always strike a conversation, my right eye said, “Your house is very bright, there is so much of glitter!”
Miss Mirror contorted her lips and said, “There was so much of brightness and so much of dazzling in my native land that I don’t like even a little bit here.”
My eyes asked, “Where is your place?”
” I was born in the land of the Sun. I spent my entire childhood there,” Mirror replied with pride.
My left eye asked, “Who else were there? What were you doing there? Tell me something about it.”
Miss Mirror said, “Ask who was not there. Stars, the Sun God, the Moon, we all lived together. Sun God was our King, Moon was our Queen and all the Stars were Princes.”
Eyes asked,” Were you a princess there?”
Miss Mirror became pale and said, “No, I was a sweeper there. My name was Mirror.” My eyes laughed a great deal hearing this. Turning to the right eye the left eye winked and muttered, “My Mother! She is just a sweeper, but how dazzling and spirited she is!”
Miss Mirror continued her story: “Excluding the Moon, I was the only woman in the entire land. Moreover, I was really very beautiful. Therefore I was the favourite of all the princely Stars. One day the Princes were taking a bath in the Milky Way and I was doing my work on the river bank...”
My eyes asked, “What work.”
Feeling really hurt Miss Mirror said, “Why do you want to make me feel ashamed by asking the same thing again and again? Did I not tell you that I worked as a sweeper?”
“Fine, fine... then what?” the eyes asked.
Miss Mirror continued: “After the bath Prince Mars came out. He was looking so attractive that I just kept staring at him. The Prince understood from my face that he looked very handsome. After that incident, every day the Prince came to me after wearing the clothes and I would not say anything. Even then he understood from my expressions how handsome he looked. I really believed that Prince Mars has fallen in love with me. And I started spending my days in absolute happiness.”
“Suddenly one day all the Princes were invited in Heaven to take part in the Bride Picking Ceremony of a Goddess. The Princes began preparing to go there. Prince Mars was also going there. Prince Saturn jokingly taunted Prince Mars, ‘Are you tired of that sweeper that now you want to marry a Goddess?’ Prince Mars answered laughing, ‘Oh my, that Miss Mirror has such a power that just looking at her we can immediately come to know how we look. That’s the reason why I go and stand before her every day. Otherwise, what do I have to do with her?’ Hearing this all the Princes started laughing loudly. Hiding somewhere, I was listening to their conversation and I felt very bad.”
“The next day the Princes adorned the finest clothes and began preparations to go to Heaven. I had hidden my face under the veil and was sweeping the floors. Prince Mars came to me smiling jovially and asked me, ‘What do you think Miss Mirror, are my looks charming enough for any of the Goddesses?’ I turned away my face in anger without replying. Prince came back to me again and said, ‘Don’t say anything, and just take off your veil look at me at least.’ I said angrily, almost shouting, ‘I am not your slave. I am tired of telling you every day how handsome you look.’ No one had ever insulted the Prince like this, so he became furious and cursed me. ‘Go now, you will not be able to stay in the Land of the Sun,’ he said. ‘You will have to live in the Mortal Worlds and the people there will constantly asked you just one question, ‘How do I look’ and you will not have any speech so you will not be able to talk back as you have done today,’ so said the Prince.”
Miss Mirror’s eyes rolled with tears narrating the story so far. Then she said, “From that day onwards I am spending my days in misery and sin on the Earth. I am very tired of my work, but what can I do? If you look around the rooms you will realise how much the people of this earth torment me.”
Then Miss Mirror took both my eyes to see the Palace. A huge mirror was fixed on a wall of a huge room. A most beautiful looking princess was sitting opposite the mirror, on a golden seat. Standing behind her, a maid was combing the Princess’s hair. My eyes understood everything.
In another room a man was shaving his beard sitting opposite a mirror. Miss Mirror said:
“This is what is most insulting. Moreover, this is the morning routine of every day on entire earth. Tell me Miss Mirror, do I look alright? I am sick and tired of listening to this single sentence. I don’t know when my days of misery will end?”
My eyes felt sorry for Miss Mirror, so they asked, “you must be getting some respite at the nights, is it?’
***
“What is this? Just a couple of minutes ago you were combing your hair and now you are dead asleep with your head on the table.”
Elder sister said laughing while entering my room. I woke up with a shock. My eyes fell on the mirror opposite me. My eyes seen inside the mirror met with my own eyes and we two – me and my reflection in the mirror – smiled quietly.


Short Story by Vinodini Nilkanth (1907 - 1987)
Translated from Gujarati by Hemang Tannaa
English version Copyright © Hemang Tannaa